20140526

શ્રી.મોટા, Shri Mota


Mota- નિરાધાર પણા માં નર્યું પાંગળા પણું પ્રવર્તે છે, જીવનમાં જેને સાચો સમર્થ આધાર પ્રગટે છે ,તે તો જબરદસ્ત ખુમારી અનુભવે છે,એના જીવનમાં ,પ્રસંગમાં પ્રગટતી ટટારી પ્રત્યેક કર્મમાં એને લાગ્યા કરે છે.પોતે એકલો તો કદી છે જ નહિ,એવું નક્કરપણે તેને લાગ્યા કરે છે.હૃદયના તેવા ભાવ માં ક્યાય શોક ,ખેદ,દિલગીરી નથી હોતા,ત્યાં તેવા ભાવ માં નિરાશા ઉગી શક્તીજ નથી,
-જે જીવ પોતાનો વર્તમાનકાળ યોગ્યપણે ઉત્તમપણાંથી સાચવી શકે છે, તેનો ભવિષ્યકાળ પણ સચવાયેલો જ રહે છે.
-  પર (પારકાં)ની સેવા પ્રભુની સેવા સમજો. સેવા લેનાર, સેવા દેનાર ઉપર સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે.
‘હરિ ૐ’ આશ્રમ વેબ સાઈટ
—————————————————–
image-94નામ
  • ચુનીલાલ ઠક્કર
જન્મ
  • ૪, સપ્ટેમ્બર-૧૮૯૮; સાવલી( જિ. વડોદરા)
અવસાન
  • ૨૩, જુલાઈ- ૧૯૭૬; ફાજલપુર( જિ. વડોદરા)
કુટુમ્બ
  • માતા-સૂરજબા; પિતા- આશારામ
શિક્ષણ
  • ૧૯૧૯ - મેટ્રિક
main-imageતેમના વિશે વિશેષ
  • ૧૯૦૫-૧૯૧૮ – આકરી મજૂરી સાથે તૂટક તૂટક અભ્યાસ
  • ૧૯૧૬ – પિતાનું અવસાન
  • ૧૯૧૯-૧૯૨૦ - વડોદરા કોલેજમાં જોડાયા પણ અધવચથી અભ્યાસ છોડી દીધો
  • ૧૯૨૧- ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ ત્યાંય અભ્યાસ એક જ વર્ષમાં છોડી, હરિજન સેવામાં લાગી ગયા.
  • ૧૯૨૨- ફેફરુંના રોગથી કંટાળી ગરૂડેશ્વરની ભેખડ પરથી આત્મહત્યાનો પ્રયાસ; પણ દૈવી બચાવ.
  • ‘હરિ ૐ’ મંત્રના સતત જાપથી રોગમુક્ત થયા.
  • ૧૯૨૩- ( વસંત પંચમી) પૂ. શ્રી. બાલયોગીજી પાસે દિક્ષા. શ્રી, કેશવાનંદ ધૂણીવાળા દાદાના દર્શને સાંઈખેડા ગયા. ત્યાં રાત્રે સ્મશાનમાં સાધના અને દિવસભર હરિજન સેવા
  • ૧૯૨૭- હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ; પરિણામે ‘હરિ ૐ’ મંત્ર અખંડ થયો
  • ૧૯૨૮ – પહેલી હિમાલય યાત્રા
  • ૧૯૨૮- સાકોરીના પૂ. ઉપાસનીબાબાની સાથે સાધના. બધી સૂધ બૂધ ખોઈ, મળમૂત્ર માં જ પડ્યા રહ્યા.
  • ૧૯૩૦ – મનની નીરવતાનો સાક્ષાત્કાર
  • ૧૯૩૦-૩૨ આઝાદીની લડતમાં ભાગને કારણે સાબરમતી, વીસાપુર, નાસિક અને યરવડા જેલોમાં કારાવાસ, સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પ્રભુસ્મરણ
  • વીસાપુર જેલમાં વિદ્યાર્થીઓને સમજાવવા સરળ ભાષામાં શ્રીમદ્‍ ભગવદ્‍ ગીતાનું વિવરણ ‘જીવન ગીતા’  લખ્યું.
  • ૧૯૩૪ - સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર
  • ૧૯૩૪-૩૯ - હિમાલયમાં અઘોરીબાબા પાસે, ધુંવાધારની ગુફામાં અને નર્મદાકિનારે નગ્ન દેહે ૨૧ ધૂણી ધખાવી સાધના; શીરડીના સાંઈબાબા પાસેથી અંતિમ તબક્કાની સાધનાનું માર્ગદર્શન
  • ૨૯, માર્ચ- ૧૯૩૯ – કાશીમાં નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર; હરિજન સેવક સંઘમાંથી રાજીનામું
  • ૧૯૪૨ – હરિજન સેવક સંઘમાંથી છૂટા થયા છતાં, હરિજન કન્યા છાત્રાલય માટે મુંબાઈમાં ફાળો ઉઘરાવ્યો.
  • ૧૯૪૫- હિમાલયની યાત્રા દરમિયાન અદ્‍ભૂત અનુભવો
  • ૧૯૪૬- સાબરમતી હરિજન આશ્રમમાં મીરાં કુટિરમાં મૌન એકાંતનો પ્રારંભ
  • ૧૯૫૦ – દક્ષિણ ભારતના કુમ્ભકોણમ્‍માં કાવેરી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના (૧૯૭૬ પછી એ આશ્રમ બંધ કરાયો છે.)
  • ૧૯૫૪ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં એક ઓરડીમાં મૌન એકાંતનો પ્રારંભ
  • ૧૯૫૫- નડિયાદ શેઢી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના
  • ૧૯૫૬ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના
  • ૧૯૬૨થી – ‘હરિ ૐ’ આશ્રમ દ્વારા લોકકલ્યાણનાં કામોનો પ્રારંભ
  • ૧૯૬૮-૧૯૭૫ – શરીરના અનેક રોગો છતાં સતત પ્રવાસ અને અધ્યાત્મ અને સ્વાનુભવના ૩૬ ગ્રન્થોનું લેખન/ પ્રકાશન
  • ૧૯૭૬ – ફાજલપુરમાં મહી નદીના કાંઠે શ્રી. રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં આનંદ પૂર્વક દેહત્યાગ
  • મૃત્યુ બાદ મળેલ દાનમાંથી ગુજરાતના પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બાધવાનો આદેશ.
રચનાઓ
Mota_books
સાભાર
  • ‘ શ્રી મોટા સાથે હિમાલય યાત્રા’ – શ્રી. નંદુભાઈ શાહ ; ‘હરિ ૐ’ આશ્રમ પ્રકાશન, સૂરત

લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ

પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?
કિરણ ચૌહાણ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

કાન ઓળખાતા નથી – હરીન્દ્ર દવે

અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
- હરીન્દ્ર દવે
નખશિખ નઝાકતથી ઓપતું મધુરું ઊર્મિકાવ્ય……એકદમ લાક્ષણિક હરીન્દ્ર દવે……

અવળો હિસાબ છે – બરકત વિરાણી ‘બેફામ’

દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…
બીજું શું આફતાબ અને માહતાબ છે,
કેવળ કોઇ રૂપાળા વદનના નકાબ છે…
ઓ નિંદકો, તમારી સમજફેર છે જરા,
હું નહિ પરંતુ મારું મુકદ્દર ખરાબ છે…
કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…
દિવાનગીનો કેફ નહીં ઊતરી શકે,
એકવારની નથી એ સદાની શરાબ છે…
ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જીંદગીનો જે જવાબ છે…
બસ એટલું કે એના ઉપર હક નથી મને,
મારો નહી તો સૌથી સરસ ઇન્તેખાબ છે…
રસ કોઇનેય ક્યાં છે નિખાલસ મનુષ્યમાં,
મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે…
કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…
-બરકત વિરાણી ‘બેફામ’

ગીત તારાં જ ગાઉં – ગિરિન ઝવેરી

હૈયે થાતું ગીત તારાં જ ગાઉં
તૃષાઘેર્યાં નૈને ભવભવ હતો હું ભટકતો,
અને ભગ્નાશાની કજલ રજની ડારતી હતી.
તું આવી તે ટાણે,
અને તારે ગાણે
ઉછાળ્યા આ હૈયે ઉદધિ મુદના, તેજ પ્રકટ્યાં;
નાચે હૈયું, ગીત ગાઉં મદીલાં !
કો જાણે શું ગીત કેવાં મદીલાં !
પરંતુ એ શીળા રસસમુદરે લીન થઉં ત્યાં
સુમન ડગલે તું વિલિન થૈ,
પગથી પર બે બે પગલી રહૈ,
ઋતુરાણી જાણે કુસુમ અદકાં બે ભૂલી ગઈ -
અભાગી માટે, હા, રુદનધન આજે મૂકી ગઈ !
આંસુ લો’યાં ગીત તારાં જ ગાઉં !
- ગિરિન ઝવેરી
(જ: ૧૬-૦૩-૧૯૨૩ ~ મૃ: ૧૩-૦૧-૧૯૫૧)
માત્ર અઠ્ઠાવીસ વર્ષની કુમળી વયે આ વિશ્વ ત્યાગી જનાર રૂપેણ કાંઠાના ઉમતા ગામના ગિરિન ઝવેરી બર્માના મોલમીન ખાતે મોટા થયા. બીજા વિશ્વયુદ્ધ પૂર્વે એ વતનભેગા થયા. અમદાવાદમાં બી.એ. થયા ને પછી એમ.એ.માં મુંબઈ યુનિવર્સિટિમાં પ્રથમ ક્રમે ઉત્તીણ થયા. સૂરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં બી.એ.ના પ્રાધ્યાપક થઈ એવી ચાહના મેળવી કે એમનો વર્ગ બંક કરવાની વાત તો અલગ, બીજા વર્ગના વિદ્યાર્થીઓએ પણ એમને સાંભળવા વર્ગમાં ઘુસી જતા. ૨૮ની નાની વયે ઝેરી મેલેરિયા (સેરિબ્રલ મેલેરિયા)ના કારણે આપણે એક પ્રતિભાશાળી કવિ, વિવેચક, ભાષાશાસ્ત્રી તથા ઊંડા અભ્યાસી ગુમાવ્યા… કલાપી (૨૬), નર્મદ (૩૩), મણિલાલ દેસાઈ (૨૭), રાવજી (૨૮)ની પંગતમાં જઈ બેઠા..
ગિરિન ઝવેરીની આ રચના ટાગોરની યાદ ન અપાવે તો નવાઈ.

રીડગુજરાતી. કોમ કોમામાં….

રીડગુજરાતી. કોમ… મૃગેશ શાહ…
જે મિત્રો ઓનલાઇન ગુજરાતી સાહિત્યજગતમાં વિહાર કરવાનો થોડો પણ શોખ ધરાવે છે એ લોકો આ બે નામથી ભાગ્યે જ અજાણ હોવાના. ગુજરાતી સાહિત્યની કદાચ સહુથી વિશાળ વેબસાઇટ રીડગુજરાતી. કોમના સંચાલક મૃગેશ શાહ ઘણા વરસોથી એકલા હાથે ગુજરાતી ગદ્ય અને પદ્યનો અમૂલ્ય ખજાનો આપણને વિના મૂલ્યે અનવરત પીરસી રહ્યા છે.
કમનસીબે માત્ર પાંત્રીસ વર્ષની નાની વયે મૃગેશ બ્રેઇન હેમરેજનો શિકાર થઈ લકવાગ્રસ્ત અને કોમાગ્રસ્ત થયા છે. ગણતરીના દિવસો પહેલાં જ વડોદરાની મેટ્રો હૉસ્પિટલ ખાતે એમના પર ન્યુરોસર્જરી કરવામાં આવી અને હેમરેજ દૂર કરવામાં આવ્યું પણ દુર્ભાગ્યે એ હજી કોમામાં છે.
ગુજરાતી સાહિત્યની સેવાનો ભેખ લેનાર આ યુવામિત્રને આજે આપણા સહુ તરફથી દુઆ અને વિશેષ તો આર્થિક સહાયની ખાસ જરૂર છે… લયસ્તરોના તમામ વાચકમિત્રોને નમ્ર અપીલ છે કે મદદનો હાથ લંબાવે…
બેંક ખાતાની માહિતી આ મુજબ છે.
Name : DHANANJAY THAKORLAL SHAH
Bank : CENTRAL BANK OF INDIA, KARELIBAUG BRANCH BARODA – 390018
A/C No : 00000001324943292
IFSC : CBINO280486
જે મિત્રો આર્થિક સહાય કરે એ મિત્રોને વિનંતી કે અહીં કોમેન્ટ બોક્સમાં પણ આપનું નામ લખી જરૂરથી જણાવજો કે આપે દુઆ સાથે મદદનો પણ હાથ લંબવ્યો છે, જેથી અન્ય મિત્રોને પણ પ્રોત્સાહન મળે…
*
વહાલા મૃગેશ ! જલ્દી કર… અમે સહુ તારી અને રીડગુજરાતી. કોમની રાહ જોઈ રહ્યાં છીએ…
*
readgujarati

તળિયું – દિલીપ શ્રીમાળી

ખૂબ ઊંચે છે એ જળ ને જળનું તળિયું
ક્યાંથી દેખાડું તને વાદળનું તળિયું ?
ચિત્રમાં દોરી નદી ખળખળ વહેતી
ભીનું ભીનું થઈ ગયું કાગળનું તળિયું.
રણને આખુંય ઊથલપાથલ કર્યું પણ
ક્યાંય દેખાયું નહીં મૃગજળનું તળિયું.
ખુશબૂ લપસી ગઈ ફૂલોના શ્વાસ પરથી
લીલ બાઝેલું હતું ઝાકળનું તળિયું !
- દિલીપ શ્રીમાળી
ચાર જ શેરની આ ગઝલ આમ તો તળિયાની વાત કરે છે પણ એનું પોત પકડવા જાવ તો અતાગ લાગે એવી ઊંડી !
એક બીજું આશ્ચર્ય લયસ્તરો પર કવિનું નામ ઉમેરવા ગયો ત્યારે થયું. એક, બે, ત્રણ નહીં, લયસ્તરો પર એક ડઝન ‘દિલીપ’ મળી આવ્યા… !

શતદલ – દેવિકા ધ્રુવ

IMG_1950
શતદલ પંખ ખીલત પંકજ પર,
         હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બુંદ સરક દલ વાદળ, 
        ભીંજત બદન નર નાર નવલ પર.
ઘનન ઘનન ગરજત નભમંડળ,
         કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
   છલ છલ છલકત જલ સરવર પર,
         નાચત મંગલ મયૂર મનોહર.
સર સર સૂર સજત દિલ મોહક,
          ભૂલત ભાન વનરાવન ગોપક.
  પલપલ શબદ લખત  મનભાવન,
           ઝરત પ્રીત મન કરત પાવન.
લીલ રંગ ધરા ધરત અંગ પર,
           સોહત સુંદર સદ્યસ્નાત સમ.
   મસ્ત મસ્ત  બરસત અવિરત ઝર,
               ઝુલત ઝુમત શતદલ મધુવન પર.
- દેવિકા ધ્રુવ
ખુલ્લા આકાશમાં અનાયાસ વિહરતા પંખી જેટલી સહજતાથી આ ગીતનો લય મનને મોહી લે છે. મોટેથી બે વાર વાંચતા તો મને સુન્દરમના ગીતોની ( 1, 2 ) યાદ આવી ગઈ. ગીતનો સશક્ત લય તમને પણ ‘ભીંજવી’ નાખશે એની પૂરેપૂરી ગેરેન્ટી છે. મોટેથી, લય સાથે વાંચતા જાવ:, ‘સદ્યસ્નાત’ જેવો ભારે શબ્દ પણ જીભ પરથી માખણની જેમ સરકી જશે ત્યારે લયની તાકાત અને ભાષાની ઋજુતા પર મોહી પડ્યા વગર રહેવાશે નહીં.

સુરાહીમાં ખાલી – શૂન્ય પાલનપુરી

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી
અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી
મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદરના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી
તને એકમાંથી બહુની તમન્ના, બહુ થી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી
-શૂન્ય પાલનપુરી
આ ગઝલ પ્રસ્તુત કરવાનો હેતુ એનો છેલ્લો શેર છે…….

નહીં ફાવે – ખલીલ ધનતેજવી

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
- ખલીલ ધનતેજવી
વાતમાં ખુમારી છે પરંતુ………..

ખાતરી – એડવિન મૂર (અનુ. વિવેક મનહર ટેલર)

હા, તારો જ, મારી પ્રિયે ! છે સાચો માનવ ચહેરો,
મેં મારા મનથી અત્યાર સુધી રાહ જોયા કરી,
ખોટું જોતો રહ્યો અને હતો સત્યની તલાશમાં,
ત્યારે જ તું જડી એમ જેમ કોઈ પથિકને જડી જાય એક સ્થળ
સ્વાગત ભર્યું, ખોટાં ખીણ-પર્વતો અને વાંકળિયાળ રસ્તાઓમાં.
પણ તું, હું શું કહું તને ?
વગડામાંનો ફુવારો ?
ઉષર દેશમાં પાણીનો કૂવો?
અથવા કંઈ પણ જે પ્રામાણિક અને સારું છે, એક આંખ
જે વિશ્વ સમસ્તને પ્રકાશિત કરે છે.
આપવાના ઔદાર્યથી સરળ તારું વિશાળ હૃદય, બક્ષે છે આદિ કાર્ય.
સૌપ્રથમ સારી દુનિયા, વસંત, પ્રફુલ્લિત બીજ,
સગડી, અવિચળ ભૂમિ, ભટકતો દરિયો,
બધી રીતે સુંદર કે વિરલ નહીં
પણ તારી જેમ જ, જેમ એ હોવા જોઈએ એમ જ.
- એડવિન મૂર
(અનુ. વિવેક મનહર ટેલર)
જરા ધીરે રહીને ઊઘડતું મજાનું કાવ્ય. “જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને” (મ.ખંડેરિયા) જેવી વાત… પોતાના પ્યારનો ચહેરો જ સાચો ચહેરો છે એની ખાતરી કવિને કેવી સરસ રીતે થાય છે અને આપણને પણ કરાવવામાં આવે છે ! કશું જ સમગ્રતયા સુંદર કે વિરલ હોતું નથી. જે છે એ જેમ હોવું જોઈએ એમ જ હોય એમાં જ એનું સાચું સૌંદર્ય છે.
*
The confirmation
Yes, yours, my love, is the right human face,
I in my mind had waited for this long.
Seeing the false and searching the true,
Then I found you as a traveler finds a place
Of welcome suddenly amid the wrong
Valleys and rocks and twisting roads.
But you, what shall I call you?
A fountain in a waste.
A well of water in a country dry.
Or anything that’s honest and good, an eye
That makes the whole world bright.
Your open heart simple with giving, give the primal deed.
The first good world, the blossom, the blowing seed.
The hearth, the steadfast land, the wandering sea,
Not beautiful or rare in every part
But like yourself, as they were meant to be.
- Edwin Muir

ગઝલ – ઉદયન ઠક્કર

વાતેવાતે શેનું મોડું થાય છે ?
ઘાસ, તુર્ત જ, દૂધ થોડું થાય છે ?
મેઘની પાછળ ને પાછળ કુંજડી
ને મને પણ દોડું-દોડું થાય છે.
થાય સીધાં કામ આ વરસાદમાં ?
જો, કિરણ પણ જળમાં ખોડું થાય છે
શેરને તું શ્લોક માફક બોલ મા !
રેડિયમ કંઈ સૂર્ય થોડું થાય છે ?
રોકતાં રોકી તો લીધી આ ગઝલ,
ફેફસાંમાં વાવાઝોડું થાય છે
- ઉદયન ઠક્કર
સાયન્ટિફિક ગઝલ એમ કહીને સંબોધવાનું મન થાય એવી ગઝલ… પહેલા શેરમાં બાયોલોજી… બીજામાં ઝૂલોજી… ત્રીજા-ચોથામાં ફિઝિક્સ… છેલ્લા શેરમાં વિજ્ઞાનની કોઈ શાખા ભલે નથી, પણ ફેફસાં તો આવી જ ગયા…
જો કે આવું કશું ન વિચારો તો પણ આ ગઝલ સાવ અનૂઠી ફ્લૅવરવાળી અને વારંવાર વાગોળવાનું (બાયોલોજી!) મન થાય એવી છે !

સરળ રાજયોગ (Rajyog)

ઘણાં વખતથી મારે રાજયોગવીશે લખવું હતું, પરંતુ યોગ્ય સમયની રાહ જોતો હતો. અને ગઈકાલે જ સુરેશદાદાની એ વીશેની પૃચ્છાએ આ લેખ લખવા મને ઇંધણ પુરું પાડ્યું.
ઋષી પતંજલીએ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ‘યોગસુત્ર‘ લખ્યાં છે, જેમાં રાજયોગનાં સીધ્ધાંતો પ્રતીપાદીત કરવામાં આવ્યાં છે. શ્વેતાશ્વતર ઉપનીષદમાં પણ સમાધી, કૈવલ્યપદવગેરેની સુક્ષ્મ સમજુતી આપવામાં આવી છે. સ્વામી વીવેકાનંદે એમનાં ‘રાજયોગ’ પુસ્તકમાં દરેક સીધ્ધાંતોની વીસ્તૃત ચર્ચા કરી છે. અહીં હું એમના પુસ્તકનો આધાર લઈને સરળ રાજયોગની પધ્ધતી જણાવું છું. સાથે, મારા પોતાના અનુભવો પણ વર્ણવીશ.
રાજયોગ દ્વૈતઅથવા અદ્વૈત બન્નેનાં અંતીમ ધ્યેયને પ્રાપ્ત કરવાનાં ઘણાં સાધનોમાંનો એક છે. ભક્તી, સંન્યાસ, કર્મ વગેરે અનેક જુદાં જુદાં રસ્તાઓ અંતે તો એક જ બની જાય છે. શરુઆતમાં દરેક રસ્તા અલગ અલગ જણાય છે, પરંતુ એકનું ચુસ્ત પાલન આપોઆપ અંતે તો એક જ સામાન્ય માર્ગે દોરી જાય છે.

રાજયોગનાં આઠ પગથીયાં (8 steps of Rajyog):

1. યમ:
જેમાં સત્ય - હકીકત જેવી છે તેવી જણાવવી, અહીંસા- કોઇ પણ પદાર્થ/જીવને હાની ના પહોંચાડવી, અસ્તેય - કોઇની વસ્તુ પડાવી ના લેવી, અપરીગ્રહ - ગમે તે સંજોગોમાં કોઇની પાસેથી દાન ના લેવું, બ્રહ્મચર્ય - ઇંદ્રીયોનો સંયમ (દમન નહીં) જેવાં પાંચ કર્મ આધારીત પદ છે. દરેક પદ વીશે ઘણું લખી શકાય તેમ છે, પરંતું અંતે તો એ જે તે પાલનકર્તાની વીવેકબુધ્ધી અને સામાજીક નીયમો પર આધારીત છે. અહીંસામાં દ્રઢ થવાથી વૈરભાવ નીકળી જાય છે. સત્યમાં પ્રતીષ્ઠીત થવાથી કર્મો કર્યા વીના કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. અસ્તેયમાં દ્રઢ થવાથી સર્વ રત્નો પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યમાં સ્થીર થવાથી શક્તી મળે છે. અપરીગ્રહમાં દ્રઢ થવાથી પાછલા જન્મોની સ્મૃતી થાય છે.
2. નીયમ:
જેમાં તપ - શારીરીક કષ્ટ સહન કરવાં, સ્વાધ્યાય- સતત શાબ્દીક/અર્ધશાબ્દીક/માનસીક જપ, શૌચ- બાહ્ય (શારીરીક) અને આંતરીક (માનસીક) શુધ્ધી, સંતોષ - હકીકત જેવી છે તેવી સ્વીકારવી, ઇશ્વર પ્રણીધાન - ભજન, કીર્તન, પ્રાર્થના, પુજા, અર્ચના; એમ પાંચ પદ છે. ફરીથી, આ દરેક પાલનકર્તાની વીવેકબુધ્ધી, સામાજીક નીયમો અને દેશ-કાળ પર આધાર રાખે છે. તપ વડે શરીર અને ઈંદ્રીયોની સીધ્ધીઓ આવે છે. શૌચથી ચીત્તની શુધ્ધી, પ્રસન્નતા, એકાગ્રતા, ઈન્દ્રીયજય અને આત્મદર્શનની યોગ્યતા આવે છે. સંતોષથી સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય વડે ઈષ્ટદેવનો સાક્ષાત્કાર થાય છે. ઈશ્વર પ્રણીધાનથી સમાધી પ્રાપ્ત થાય છે.
3. આસન:
ગરદન, માથું, કરોડ ટટ્ટાર રાખીને એક સ્થીતીમાં લાંબા સમય સુધી બેસવું. દરેકને પોતાની પ્રકૃતી પ્રમાણે પદ્માસન, સુખાસન, સીધ્ધાસન, મુળબંધનાસન, વજ્રાસન વગેરે આસનોમાંથી એક અનુકુળ આવી શકે છે. આસનથી દ્વંદ્વોની અસર નાબુદ થાય છે.
4. પ્રાણાયામ:
આપણે ત્રણ નાડીઓ દ્વારા શ્વાસ લઇએ છીએ: ઇડા (સુર્ય, ડાબી), પીંગળા (ચંદ્ર, જમણી), સુશુમ્ણા (મધ્ય). વારાફરતી દરેક નાડી દ્વારા શ્વાસોચ્છવાસની પ્રક્રીયા ચાલતી રહે છે. શ્વાસ અંદર લેવાની પ્રક્રીયાને પુરક કહે છે. શ્વાસ શરીરની બહાર કાઢવાની પ્રક્રીયાને રેચક કહે છે. શ્વાસને શરીરની અંદર રોકવાની પ્રક્રીયાને આંતરીક કુંભક કહે છે, અને શ્વાસને શરીરની બહાર રોકવાની પ્રક્રીયાને બાહ્ય કુંભક કહે છે. પ્રાણાયામ જો માનસીક મંત્રજાપ સાથે કરવામાં આવે તો તેને ‘સગર્ભ’ પ્રાણાયામ કહે છે, મંત્રજાપ વગરનાં પ્રાણાયામને ‘અગર્ભ’ પ્રાણાયામ કહે છે. પ્રાણાયામ કરતાં પહેલાં નાડીશુધ્ધી કરવી જરુરી છે. અને ‘સગર્ભ’ પ્રાણાયામ કફ વગેરે દુર કરવામાં સહાયભુત થાય છે. પ્રાણાયામથી મન ધારણા માટે યોગ્ય બને છે.
5. પ્રત્યાહાર:
ઇંદ્રીયોનો પોતાના વીષયોનો ત્યાગ અને તેમને મનની અંદર વાળવાની ક્રીયા. ધ્યાનની સાધનામાં પ્રથમ પગથીયું છે. તેનાથી ઈન્દ્રીયો પર કાબુ આવે છે.
6. ધારણા:
12 સેકંડ સુધી કોઇ એક લક્ષ્ય પર મન એકાગ્ર થાય તો તેને ધારણા કહે છે.
7. ધ્યાન:
3 મીનીટ સુધીની મનની એકાગ્રતા એટલે ધ્યાન.
8. સમાધી:
30 મીનીટ સુધીની મનની એકાગ્રતા સમાધી છે. સમાધીના ઘણાં બધાં પ્રકાર છે.
ચુંટેલા વાક્યો: —————————————
- ધર્મ પ્રાચીન કાળના અનુભવો પર રચાયેલો છે એટલું જ નહીં, પણ જ્યાં સુધી એ અનુભવોને પોતે પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી કોઈ પણ માણસ ધાર્મીક થઈ શકે નહીં.
- યોગ્ય પૃથક્કરણ વીના કોઈ પણ વીજ્ઞાન નકામું નીવડવાનું - એ માત્ર સીધ્ધાંતનીરુપણ જ રહેવાનું.
- સઘળાં દુ:ખનું મુળ છે ભય, અતૃપ્ત વાસના.
- રાજયોગના સઘળા ઉપદેશોનું ધ્યેય એ છે કે મનને કેવી રીતે એકાગ્ર કરવું, ત્યાર પછી આપણા પોતાના મનનાં ઊંડામાં ઊંડા રહસ્યોને કેવી રીતે શોધી કાઢવાં, ત્યાર પછી તે બધા વીષયો પરથી સામાન્ય નીયમો કેવી રીતે તારવવા; અને તેમના પરથી આપણા પોતાના નીર્ણયો કેવી રીતે બાંધવા.
- ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો. રહસ્યમયતાનો શોખ મનુષ્યના મગજને નબળું બનાવે છે. યોગવીદ્યા કે જે એક ભવ્ય વીજ્ઞાન છે, તેનો રહસ્યમયતાએ લગભગ નાશ કરી નાંખ્યો છે.
- બધી સાધનાઓનો હેતુ, અંતીમ ધ્યેય તો આત્માની મુક્તી છે. પ્રકૃતી પર સંપુર્ણ કાબુ, અને એથી ઓછું જરાય નહીં, એ ધ્યેય હોવું જોઈએ.
- મધ્યમ વર્ગના મનુષ્યોમાંથી જ દુનીયાના મહાન પુરુષો આવે છે.
- જ્યારે યોગી પુર્ણ બને છે ત્યારે કુદરતમાં એવું કંઈ જ નથી રહેતું કે જે તેના કાબુ નીચે ન આવે.
- પ્રાણાયામ એટલે શ્વાસ લેવાની ક્રીયા નહીં, પણ ફેફસાંને ચલાવનારી માંસપેશીની શક્તી પર કાબુ મેળવવો.
- કુદરતને પોતાને પ્રચંડ પ્રવાહોને મોકલવા કોઈ તારની જરુર નથી પડતી. તાર વીના ચલાવી શકવાની આપણી અશક્તી જ તાર વાપરવાની આપણને ફરજ પાડે છે.
- અજ્ઞાન અને સંપુર્ણ જ્ઞાન બન્નેમાં જ્ઞાતાની સ્થીતી સરખી જ હોય છે, પરંતુ એ બન્ને અવસ્થામાં ઘણો ઘણો ફેર છે.
- ઈશ્વર ગુરુઓનો પણ ગુરુ છે અને ૐ તેનો બોધક શબ્દ છે.
- નવા વીચારો અને નવી ઘટના મગજમાં નવા ચીલા પાડે છે, તેને ખળભળાવી મુકે છે; અને મન એને સ્વીકારવાની ના પાડે છે.
- યોગની સચ્ચાઈ વીશે શંકાશીલ હોય તે થોડા અભ્યાસ પછી અનુભવે તેની શંકાઓ મટી જશે.
- તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાનને ‘ક્રીયાયોગ‘ કહે છે.
- ધારણા, ધ્યાન અને સમાધી એક જ વસ્તુ પર કરવામાં આવે, ત્યારે તેને ‘સંયમ‘ કહે છે.
ધ્યાનના પ્રકારો: ————————————-
- ભ્રુકુટી મધ્યે આજ્ઞાચક્રમાં
- હ્રદયની કમળરુપે કલ્પના કરો અને ધ્યાન કરો
- મનને હજાર પાંખડીનું કમળ ધારી એનું ધ્યાન
- હ્રદયમાં જ્યોતીરુપે આત્મા અને તેની મધ્યે પરમ જ્યોતી ધારીને ધ્યાન કરો
- કોઈ પણ પરમાણુથી માંડી પરમ મહત સુધી મનગમતી અને પવીત્ર વસ્તુ પ્રત્યે ધ્યાન કરો
જાપ અને પ્રાણાયામમાં સહાયભુત મંત્રો: —————————-
1. ૐ
2. સોડ્મ
3. ૐ તત સત ૐ
4. ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ

સરળ રાજયોગ -મારા અનુભવો

સરળ રાજયોગ 2         Sep 09, 2007
આજે હું મારા અનુભવોની વાત કરીશ. આ અનુભવો જે મારા રાજયોગની સાધનાનું પરીણામ છે. અને તેની સચ્ચાઈની ખાતરી હું કરાવી શકું તેમ નથી, પરંતુ આપને જાતે જ પ્રયોગો કરીને અનુભવ મેળવવા કહી શકું. આપની સાધના અને વ્યક્તીત્વ મુજબ અનુભવોમાં થોડાં ફેરફાર હોઈ શકે છે.
સૌ પ્રથમ હું જે રોજ કરું છું તે જણાવું. મેં ઘણીબધી વાર વાંચ્યું છે કે, આધ્યાત્મીક અનુભવો પોતાના પુરતા સીમીત રાખવાં. પરંતુ, હું માનું છું કે કોઈ તે સ્વીકારે કે ના સ્વીકારે, તેને જાહેર કરવાં જ જોઈએ, તેમાં ગોપનીયતા જેવું કાંઇ છે જ નહીં. શું આપણે વૈજ્ઞાનીક પ્રયોગોનાં તારણો છુપાવીને રાખીએ છીએ? આ જ વાતનું સમર્થન સ્વામી વીવેકાનંદને વાંચતાં થયું, એટલે એ વીચારોને પુષ્ટી મળી, અને હવે તમારી સમક્ષ સઘળું ઠાલવી રહ્યો છું. મને તમારી ટીકાઓ અને ટીપ્પણીઓની આવશ્યક્તા રહેશે. મારી સાધના મારી પોતાની છે, તમે એમાં તમને યોગ્ય લાગે તે ફેરફાર કરીને પાલન કરી શકો છો, પરંતુ તમારા અંતરાત્માને પુછેને!
સતત ‘ૐ તત સત ૐ’ નો માનસીક જાપ હું કરતો જ રહું છું. ઉઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, અહર્નીશ; જ્યારે પણ મન નવરું પડે કે ‘ૐ તત સત ૐ’. કોઈ પણ ક્રીયા કરું, ગમે તેટલી સારી-નરસી, એ સર્વે ‘મા’ને અર્પણ કરીને જ કરું છું. અને સાથે ‘ૐ તત સત ૐ’ તો ખરું જ. કોઈ પણ પરીસ્થીતીને સ્વીકારીને ચાલવાં પ્રયત્ન કરું છું. ‘મા’ પ્રત્યે સંપુર્ણ સમર્પણ કરવાનો પ્રયત્ન કરું છું. પ્રાર્થના, ભજન, આરતી વગેરેનો આનંદ માણું છું.
દરેક યમો અને નીયમોનું પાલન કરવાં નીષ્ઠાપુર્વક પ્રયત્ન કરું છું.
દરરોજ સવારે સુર્યનમસ્કારનાં 5 ચક્રો કરું છું. આંખની કસરત નીયમીત કરું છું (જે મારા વ્યવસાય માટે ખુબ જ ઉપયોગી છે). ચહેરો હલાવ્યાં વગર આંખોને 5-5 વાર ડાબે-જમણે, ઉપર-નીચે, ડાબી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, જમણી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, ઘડીયાળના કાંટાની દીશામાં ચક્રાકારે, ઘડીયાળના કાંટાની વીરુધ્ધ દીશામાં ચક્રાકારે ફેરવવી. 5 વખત જોરથી ઉઘાડ-બંધ કરવી. 5 વખત ખુબ જ નજીકની વસ્તુને 5 સેકંડ માટે જોઈને તરત જ 20 ફુટ દુરની વસ્તુને 5 સેકંડ સુધી જોવી.
ન્હાતી વખતે એવી ભાવના કરું કે પાણી મારી અશુધ્ધીઓને દુર કરીને મને પવીત્ર કરી રહ્યું છે. એ પાણીમાં ગંગા/યમુના/સરસ્વતી/સીંધુ/નર્મદા/ગોદાવરીનો સંગમ થયો છે; એવી ભાવના કરું.
ન્હાયા બાદ, ઘરનાં મંદીર સમક્ષ પદ્માસનમાં બેસું. સૌપ્રથમ નાડી શુધ્ધી કરું. ‘ૐ તત સત ૐ’ જપતાં ખુબ જ ઉંડો શ્વાસ લઉં અને પછી ધીરે-ધીરે છોડું. એક શ્વાસોચ્છવાસમાં લગભગ 15 સેકંડ થાય એટલો સમય રાખું. આવાં 4 ઉંડાં શ્વાસ લઉં. ત્યારબાદ, પુરેપુરો શ્વાસ બહાર કાઢી, જમણા હાથના અંગુઠાથી જમણું નસકોરું બંધ કરી ઉંડો શ્વાસ ભરી લઉં, અને તરત જ અનામીકા અને તર્જની આંગળીઓ વડે ડાબું નસકોરું બંધ કરી પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વડે કાઢી નાંખું. તરત જ જમણાં નસકોરા વડે ઉંડો શ્વાસ લઈ, અંગુઠા વડે જમણું નસકોરું બંધ કરીને, ડાબા નસકોરાં વડે બહાર કાઢું. આ પ્રક્રીયા ચાર વખત કરું.
નાડીશુધ્ધી બાદ, આંતરીક કુંભક કરું. જમણું નસકોરું બંધ કરી ડાબાં નસકોરાં વડે ચાર વખત ૐ જપતાં ઉંડો શ્વાસ ભરાય તેવું કરું. પછી સોળ સેકંડ સુધી ૐ જપતાં શ્વાસને રોકી રાખું અને એવો ભાવ કરું કે મગજમાંથી શક્તી કરોડરજ્જુનાં મુળમાં આઘાત કરી રહી છે. ત્યાર બાદ આઠ વખત ૐ જપતાં પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વતી નીકળી જાય તેવું કરું. ફરી 4-16-4 નું ચક્ર જમણેથી પુરક, આંતરીક કુંભક, ડાબેથી રેચક કરું. આ આખું ચક્ર 4 વખત કરું.
બાદમાં બાહ્ય કુંભક કરું. 4 ૐ માં ડાબા નસકોરાં વતી પુરક, 8 ૐમાં જમણાં નસકોરેથી રેચક અને 16 ૐમાં બાહ્ય કુંભક. આ જ પ્રક્રીયા હવે જમણેથી પુરક, ડાબેથી રેચક અને બાહ્ય કુંભક. આ આખું ચક્ર 4 વખત કરું.
ત્યારબાદ ‘મા’ની પ્રાર્થના કરું અને તેની પાસેથી ‘શાશ્વત પ્રેમ, હંમેશનું તેનું સાન્નીધ્ય અને તેની અનન્ય ભક્તી’ માંગું. ગુરુજનોને વંદન કરું અને તેમની પાસેથી ‘મા’ની અનન્ય ભક્તે, અહર્નીશ સાન્નીધ્ય અને અનંત પ્રેમ માંગું.
ગાયત્રી મંત્ર ‘ૐ ભુર્ભુવઃ સ્વઃ ૐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ૐ’ નો સસ્વર જાપ કરું. સાતેય ચક્રોમાં ૐનો માનસીક જાપ કરતો ફરી વળું. મુળાધાર (કરોડનો છેડો), સ્વાધીશ્ઠાન (પ્રજનન અવયવનો છેડો), મણીપુર (નાભી), અનાહત (મધ્ય હ્રદયે), વીશુધ્ધ (કંઠ મધ્યે), આજ્ઞા (બે ભ્રુકુટી વચ્ચે), સહસ્ત્રાર (મસ્તકની ટોચે, શીખામુળે) ૐનો આઘાત કરું.
મને પોતાને બ્રહ્માંડનું કેંદ્ર ધારી, ‘ૐ તત સત ૐ’ જપતાં મારી આગળની દીશાથી જમણી બાજુની દીશામાં (90 અંશ) ફરતાં ગોળાની કલ્પના કરી પ્રાર્થના કરું “સર્વેનું કલ્યાણ થાઓ, સર્વેને સુખની પ્રાપ્તી થાઓ, સર્વેને શાંતી પ્રાપ્ત થાઓ, સર્વે નીરોગી રહો, સર્વેને માની ભક્તી પ્રાપ્ત થાઓ’. વળી 90 અંશ, મારી જમણી દીશામાંથી ફરતાં પાછળની દીશામાં ફરતાં ‘ૐ તત સત ૐ’ જપતાં ગોળાની કલ્પના કરી એ જ પ્રાર્થના કરું. આમ જ, પાછળની દીશામાંથી ડાબી બાજુની દીશામાં અને ડાબી બાજુની દીશામાંથી આગળની દીશામાં આવું અને બ્રહ્માંડને પુર્ણ કરું.
ત્યારબાદ, હ્રદયાકાશમાં રહેલ આત્મજ્યોતીની કલ્પના કરું અને તેની પણ મધ્યે રહેલાં પરમ જ્યોતી રુપ ‘મા’ની કલ્પના કરી પ્રાર્થના કરું કે, ‘મને તારું શાશ્વત સાન્નીધ્ય, અનંત પ્રેમ અને અનન્ય ભક્તી આપ’.
પછી, ધીરે-ધીરે ભ્રુકુટી મધ્યે (આજ્ઞાચક્રમાં) એકાગ્રતા મેળવી, કોઈ જ જાપ વગર અવલોકન કરું. મનમાં ઉઠતાં તરંગોને નીહાળવાં પ્રયત્ન કરું અને એમાં જોડાવાથી દુર રહું. જેટલો સમય રહી શકાય તેટલો રહું. બાદમાં આંખો ખોલીને નીચેના મંત્રોનું ઉચ્ચારણ કરું.
ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વીચ્ચે ૐ ॥
ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ ॥
ૐ હ્રીં બલે મહાદેવી હ્રીં મહાબલે, ક્લીં ચતુર્વિધપુરુષાર્થ સિધ્ધિપ્રદે, તત સવિતુર્વરદાત્મિકે હ્રીં વરેણ્યં ભર્ગો દેવસ્ય વરદાત્મિકે, અતિબલે સર્વદયામૂર્તે બલે સર્વ ક્ષુદભ્રમોપનાશિનિ ધીમહિ, ધિયો યો નો જાતે પ્રચુર્યઃ યા પ્રચોદયાદાત્મિકે, પ્રણવશિરસ્કાત્મિકે હું ફટ સ્વાહા ૐ ॥ (બલાતિબલા મહામંત્ર) (આ મંત્રની ક્યારેક ચર્ચા કરીશું.)
પછી, કોઈ પણ ધાર્મીક પુસ્તકનાં ચાર પાનાંનું વાંચન કરું.
સાંજે કામેથી આવ્યાં બાદ પણ, નાડીશુધ્ધી, બાહ્ય કુંભક, આંતરીક કુંભક, પ્રાર્થના અને ધ્યાન કરું.
વર્ષ દરમ્યાન ક્યારેક માત્ર લીંબું નીચોવેલાં પાણી પર જ આખો દીવસ રહી ઉપવાસ કરું. એક સંપુર્ણ દીવસનાં મૌનવ્રતનું પાલન કરવું પણ હવે શરું કર્યું છે.
આ સાધનાથી મને થયેલો અનુભવો હવે જણાવું છું. ક્યાંય કશી પણ અતીશયોક્તી નથી કે મને મહત્વ આપવાની કોશીશ નથી કરી રહ્યો. પરંતુ જે થયું માત્ર અને માત્ર તેને જણાવવાના હેતુસર આ એક સન્નીષ્ઠ પ્રયાસ છે.
મને નાનપણથી વર્ષમાં 4-5 વાર શરદી, તાવ વગેરે આવતાં હતાં. હવે શરદી તો સંપુર્ણ ગાયબ થઈ ગઈ છે (અમેરીકા આવ્યાં પછી પણ મને 3 વર્ષ આ તકલીફ રહી છે, પરંતુ ઉપર જણાવેલ પધ્ધતીનું ચુસ્ત પાલન કરવાથી આ ફેરફાર થયો છે.). તાવ પણ ક્યારેક નામનો અને એ પણ વર્ષે એક વાર દેખા દે છે. શરીરમાં ઘણી ઘણી સ્ફુર્તી અનુભવું છું. શારીરીક રીતે વધારે ચપળ અને સુસજ્જ રહું છું. શરીરનું બંધારણ લગભગ જળવાઈ રહ્યું છે, ચરબી નામ પુરતી જ રહી છે. શરીર સુડોળ રહ્યું છે, અને માનસીક શાંતીનો સતત અનુભવ રહે છે.
ઊંઘ ખુબ જ ગાઢ થઈ ગઈ છે. સ્વપ્નો ક્યારેક જ આવે છે, અને એ પણ એવાં આવે છે કે જેમાં હું અજબ-અજબનાં સંસ્કૃત શ્લોકો બોલતો હોઉં છું. આ બધાં શ્લોકો જાગ્યાં પછી યાદ નથી રહેતાં. અને મેં ક્યારેય વાંચ્યાં હોય એવું પણ મારી જાણમાં નથી. ક્યાંક સાંભળ્યાં હોય તેવો પણ સંભવ નથી. મને સંસ્કૃત શબ્દોનો અર્થ લગભગ ખ્યાલમાં આવી જતો હોય છે, પરંતુ આ બધાં શ્લોકોમાંથી સમખાવાં પુરતું પણ મને કશું ખબર નથી પડતું.
જ્યારે જ્યારે મનમાં ઘણાં વીચારોનો ઉદ્ભવ થાય તે જ ઘટના થોડા દીવસ પછી ઘટી હોવાનો અનુભવ તો અનેકગણી વાર થયો છે (છતાં આ બાબતને હું ચર્ચાસ્પદ માનું છું.).
ધ્યાન વખતે મને શરુઆતમાં આજ્ઞાચક્રમાં જુદાં જુદાં રંગનાં વમળો દેખાતાં હતાં. પરંતું થોડાં અભ્યાસ પછી, હવે તો માત્ર નાનું શું ઘેરાં ભુરાં રંગનું વર્તુળ જ દેખાય છે, અને દરેક વીચારો તે વર્તુળમાં સમાઈ જતાં દેખાય છે. આ વર્તુળ મને ખુબ ખુબ ખુબ શાંતી અને આનંદનો અનુભવ કરાવે છે.
બે વખત મને શરીર અને મન અલગ અલગ હોવાનું અને મન કેવી રીતે શરીરનું સંચાલન કરે છે તેવો અનુભવ થયો છે. એક વાર, મને મૃત્યુ પછી આત્મા આ જગતને કેવું દેખે છે તેવો અનુભવ પણ થયો છે.
શરુઆતનાં અભ્યાસ પછી, ધ્યાનમાં બેસું ત્યારે નાનો સરખો પણ અવાજ મારાં મન પર ઘણ પડતો હોય અને મને હલબલાવી દે તેવો લાગતો. હવે, કોઈ પણ અવાજ અસર નથી કરી શકતો.
હવે, આગળ ઉપર શું થાય છે જોઈએ. પણ, મને મારું ધ્યેય તો લાધી જ ગયું છે: ‘મા’નો અનન્ય પ્રેમ, શાશ્વત સાન્નીધ્ય અને તેની ભક્તી! એ સીવાયનું બધું જ માત્ર અને માત્ર ધેય સુધી પહોંચવાનું સાધન છે.

બરકત વીરાણી ‘બેફામ’

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.
ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.
નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.
બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!
મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!
વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.
મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.
હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.
જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.
ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.
રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
– બરકત વીરાણી ‘બેફામ’

ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે

ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે,
જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.
અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?
આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.
લેવો જ પડશે મારે બુલંદીનો રાહ પણ,
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.
આ સુખનાં સોણલાં એ ફક્ત સોણલાં નથી,
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.
મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,
’બેફામ’ એટલે તો કબર ફરતી વાડ છે.
- બેફામ

અહીં જે તેજ દીવામાં રહે છે

અહીં જે તેજ દીવામાં રહે છે,
તિમિર એનું ધુમાડામાં રહે છે.
મહાલય જેના નકશામાં રહે છે,
ઘણા એવા ય રસ્તામાં રહે છે.
છે કાંટા આખરે તો માત્ર કાંટા,
ભલેને એ બગીચામાં રહે છે.
જગા મળતી નથી જેને ચમનમાં
તો એવા ફૂલ વગડામાં રહે છે.
ગયાં સંતાઇ મોતી એ વિચારે,
કે પરપોટા ય દરિયામાં રહે છે.
હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વૃક્ષ તડકામાં રહે છે.
ઉઘડતાં આંખ દેખાતાં નથી એ,
હવે સપનાં ય સપનામાં રહે છે.
ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે.
ખુદાને બીજે શું કામ શોધું?
કે એ તો મારી શ્રધ્ધામાં રહે છે.
મરણ ‘બેફામ’નું ઝંખો છો શા માટે?
એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?
- બેફામ

નથી શકતો

હરદમ હું કર્યા કરતો હતો જેમની વાતો,
જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,
ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,
જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,
બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,
ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.
- બેફામ

લાશ મારી પરંતુ તરાવી દીધી

થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.
બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી ડીધી.
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.
દિલ જવા તો દીધું કોઈન હાથમાં,દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હટી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.
જીવતાં જે ભરોસો હતો ઈશ પર,એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.
- બેફામ

બસ એટલું કે….

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.
કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું !
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી
માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
તારી છબી છું ચીતરું એવું ફલક નથી.
શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી.
એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.
એના વદનને જોઈને, ઓ ચાંદ માનનાર !
મારા વદનને જો કે જરાયે ચમક નથી.
આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ,
આ મારું મન છે, કાંઈ તમારું મથક નથી.
જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.
– બરકત વીરાણી ‘બેફામ’

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.
ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.
સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.
જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.
નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.
બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.
વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.
- બેફામ

મરણ પર મક્તા – ‘બેફામ’

છૂટ્યો જ્યાં શ્વાસ ત્યાં સંબંધ સૌ છૂટી ગયા બેફામ,
હવા પણ કોઈએ ના આવવા દીધી કફનમાંથી. (માનસર, 4)
કફનરૂપે નવો પોષાક પહેરે છે બધા બેફામ,
મરણ પણ જિંદગીનો આખરી તહેવાર લાગે છે. (માનસર, 31)
આ બધા બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. (ઘટા, 10)
રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. (ઘટા, 21)
મરણ કહેવાય છે બેફામ એ વૈરાગ સાચો છે,
જગત સામે નથી જોતા જગત ત્યાગી જનારાઓ. (ઘટા, 75)
જો કે બેફામ હું જીવન હારીને જોતો હતો,
તે છતાં લોકોની કાંધે મારી અસવારી હતી. (ઘટા, 82)
બેફામ તો યે કેટલું થાકી જવું પડ્યું?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. (માનસર, 80)
- from gunjarav.com

સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું

સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.
નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.
તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ?
તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.
ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું.
રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.
શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.
‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.
- બરકત વીરાણી ‘બેફામ’

તઝમીન – મોહમ્મદ અલી “વફા”

તઝમીન એટલે
તઝમીન એ ગંભીર પ્રકારનું કાવ્ય સ્વરૂપ છે. મૂળ અરબી શબ્દ પરથી ઉતરી આવેલા આ પ્રકારમાં સ્વીકૃતિ અને શણગારની વિભાવના હોય છે. તઝમીનકારે કોઇ પણ ગઝલકારનો એક શેર, મત્લા કે મક્તા પસંદ કરીને મૂળ શેરના ભાવ, ભાષા, ઝમીન વિ. ને અનુરૂપ ત્રણ મૌલિક પંક્તિઓ પોતે જોડવાની હોય છે. આ પરકાયા પ્રવેશ જેવું દુષ્કર કાર્ય છે! મૂળ શેરના ભાવ-વિશ્વ સાથે તઝમીનકાર એ રીતે એકાકાર થઇ જાય છે, કે ‘નહીં સાંધો નહીં રેણ’ . આમ જોડેલી ત્રણ પંક્તિઓ મૂળ શેર સાથે સમરસ થઇ જાય છે. ક્યાંય થાગડ થીગડ કે ગચિયાં દેખાતા નથી! સમગ્ર તઝમીન સંઘેડાઉતાર કલાકૃતિ તરીકે નીપજી આવે છે.
- ડો. રશીદ મીર

——————————————————————————-
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
- મરીઝ
આહ્રદયનો ભાર હુઁ કોને ધરુઁ
બોઝિલ છે એ વાતને કોને કહુઁ?
કાઁધપર નિજ બોજ લઇ હુઁ તો ફરુઁ
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
- મોહમ્મદ અલી,વફા,
——————————————————————————-
બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી
- બરકત વીરાણી ‘બેફામ’
આંખો કદી મારી રડી હૈયુઁ કદી મારુઁ રડ્યુઁ,
જે શોધતા રહ્યાતા અમે એ કયાઁ કદી મળ્યુઁ.
રસ્તાતણી ઠોકરમહીઁ પણ ના કશુઁ જડ્યુઁ
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી
- મોહમ્મદ અલી,વફા,
——————————————————————————-
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં
જનાબ ‘રાઝ’ નવસારવી
નિજના ન સાઁભરે એ કથા જિંદગીની છે.
હર સાંસમાઁ છૂપાયેલ વ્યથા જિંદગીની છે.
સાગર ઉપર રઝળતી તૃષા જિંદગીની છે.
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં
- મોહમ્મદ અલી,વફા,
——————————————————————————-
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
જનાબ અમૃત ‘ઘાયલ’
એ બદદૂઆઓ માગવા મઁદિર સુધી ગયા!
ભેગા કરી કઁટક બધા પતઝ્ડ સુધી ગયા!
મારી હસીઁ ઊડાદવા ઘરઘર સુધી ગયા!
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
- મોહમ્મદ અલી,વફા,

પાંચ + પાચ + પાંચ + પાંચ = ર૦ બાબતો

 

અઝદ કબીલાનું એક પ્રતિનિધિ મંડળ પયગંબર હઝરત મુહંમદ સાહેબની સેવામાં પધાર્યું.જેમાં કુલ સાત માણસો હતા. એમનો પહેરવેશ અને ચાલ ઢાલ પયગંબર સાહેબને યોગ્‍ય જણાંયાં .
પયગંબર સાહબ - તમે કોણ છો ?
કબીલા વાળાઓ - અમે મોમિન છીએ.
પયગંબર સાહેબ - તમારા મોમિન હોવાનો મતલબ શું છે ?
કબીલા વાળાઓ અમે પંદર વાતોને અનુસરીએ છીએ, એમાંથી પાંચ વાતોની ( દિલથી માનવા) માન્‍યતા રાખવાનો અને બીજા પાંચ કામો કરવાનો આદેશ અમને તમારા જ માણસોએ આપ્‍યો છે. અન્‍ય પાંચ વાતો અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ.
દિલથી માનવા અને માન્‍યતા રાખવાની પાંચ વાતો આ છે,
, અલ્‍લાહ ઉપર , , ફરિશ્‍તાઓ ઉપર , , અલ્‍લાહની કિતાબો ઉપર , , અલ્‍લાહના રસૂલો ઉપર , , અને મર્યા પછી આખિરત (પરલોકમાં ) ફરી જીવંત થવા ઉપર ઈમાન રાખવું, ( એટલે આ બધાના હોવા કે થવા ઉપર શ્રધ્‍ધા રાખવી.)

જે પાંચ કામો કરવાનો અમને આદેશ છે તે આ છે, , લા ઇલાહ ઇલ્‍લલ્‍લાહ કહેવું, ( એટલે કે ફક્ત એક અલ્‍લાહ હોવાનો એકરાર કરવો). ર, પાંચ સમયની નમાઝ પઢવી. ૩, ઝકાત આપવી, , રમઝાન માસના રોઝા ( ઉપવાસ) રાખવા, , શકિત શાળી સમૃદ્ધ માણસે હજજ કરવી.
બાકીની પાંચ વાતો જેને અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ તે આ છે ,
, રાહતમાં શુક્ર કરવો , , મુસીબત ટાણે સબ્ર કરવો. ૩, અલ્‍લાહના ફેસલા પર ખુશ રહેવું ૪ , કસોટી વેળા સત્‍યને વળગી રહેવું, , શત્રુને હસવાની તક ન આપવી.
પયગંબર સાહેબે તેમની આ વાતો સાંભળી ફરમાવ્‍યું કે જેણે તમને આ વાતો શીખવાડી તે વિદ્વાન અને જ્ઞાની હતા. હવે બીજી પાંચ વાતો વધુ યાદ કરી પૂરી વીસ કરી લો.
, જે વસ્‍તુ ખાવાની ન હોય એને ભેગી ન કરો.
ર ૪ જે મકાનમાં રહેવાનું ન હોય એને બનાવશો નહી.
, જે વાતો કાલે છૂટી જવાની છે, એમાં હરિફાઇ ન કરો.
, અલ્‍લાહથી ડરો , એની પાસે પાછા જવાનું છે.
, આખિરતમાં કામ આવે એવી વસ્‍તુઓનો શોખ રાખો ,ત્‍યાં હંમેશા રહેવાનું છે.

ગુજરાતી મુક્તકો (Gujarati Muktako)

મુક્તકો
જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું  ’મેહુલ’  અહીં
જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં
સુરેન ઠાકર ‘મેહુલ’
જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ  અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા  પામવાને  માનવી  તું  દોટ  કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
સુરેન ઠાકર ‘મેહુલ’
  
એક   વિતેલા  સમયની  પળને  પંપાળું  જરા
ફૂલની છે  આંખ ભીની  સહેજ એ  ખાળું જરા
લાવ, ચાદર ઓઢીએ આ રાતના અંધારની
સ્વપ્નના સૂરજથી મારી ઊંઘ અજવાળું જરા
ગોપાલ શાસ્ત્રી
    
પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું
તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી
રજૂ કરવા  હ્રદયના  દર્દને  મથતો  હતો  એ તો
વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી
મનહરલાલ ચોકસી
જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું  જિંદગીનો  એક  નવો  દ્રષ્ટિકોણ  છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું  એકલવ્ય  હું જ  અને  હું જ દ્રોણ છું
મનહરલાલ ચોકસી

મુક્તકો New Kavi
      
મારા સ્મરણ પ્રદેશની  લીલાશ છો તમે
ને શુષ્ક શ્વાસમાં ભળી  ભિનાશ છો તમે
માળાની  ઝંખના નથી  મારા  વિહંગને
મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે
કરસનદાસ લુહાર
                       
સૌંદર્યના  એ  પૃથ્થકરણમાં  શું મજા ?
હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા
એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ
પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા
સતીષ  ‘નકાબ’
                      
અમસ્તી  કોઈ પણ વસ્તુ  નથી બનતી  જગતમાંહે
કોઈનું   રૂપ  દિલના   પ્રેમને  વાચા  અપાવે   છે
ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ  ઘેરાય છે  વાદળ,  પછી વરસાદ  આવે છે
                    
જીવવાનું   એક   કારણ  નીકળ્યું
ધૂળમાં  ઢાંકેલું  બચપણ  નીકળ્યું
મેં  કફન  માનીને  લીધું  હાથમાં
એ સુખી માણસનું પહેરણ નીકળ્યું  
               
તરબતર  આંખોય પ્યાસી  નીકળી
રાતરાણીની     ઉદાસી     નીકળી
તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા
ચાંદને   જોવા   અગાસી   નીકળી
                
એકાદ  એવી યાદ  તો છોડી  જવી હતી
છૂટ્ટા  પડ્યાની  વાતને ભૂલી  જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી  સુગંધ  તો  મૂકી  જવી  હતી   
               
ચાંદનીની  રાહ એ  જોતું  નથી
આંગણું   એકાંતને   રોતું  નથી
રાત પાસે આગિયા પણ હોય છે
એકલું  અંધારું  કાંઈ  હોતું નથી
કૈલાસ પંડિત   
             
પડછાયા ફક્ત તારે નગર રૂબરૂ મળે
લોકો મળે નહીં અને બસ આબરૂ મળે
ઊગે સવાર કંઠમાં લઈ બ્રહ્મરૂપ સ્વર
ને સાંજના ચરણમાં પછી ઘુંઘરું મળે 
                 
હું તું - હતા ને સામે તો સેના ઊભી હતી
કેવો હતો  સમય અને  કેવી ઘડી હતી ?
માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો
તારો જ રથ હતો અને  આ આંગળી હતી               
રઈશ મણિયાર 
                          
સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય  ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે  તો  પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું  તોય  હું સુક્કો રહી જાઉં  
               
ભવભાવથી   ચણેલ   શબ્દના  બંધ  તૂટે
તોપણ  શી  મજાલ  છે કે  કશે  છંદ તૂટે?
જીવનમાં એ સિધ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત?
જાળવવા  છતાં   પણ  અહીં  સંબંધ  તૂટે  
જવાહર બક્ષી  
                 
માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?
સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન.
પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ?
એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન.
                
જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની  મહાલયમાં નથી હોતી 
શીતળતા  પામવાને  માનવી તું  દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
મેહુલ   
                        
   દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો
- કૈલાસ પંડિત
      
ઘણા ઊજળા ગણાતા માણસો સૂરજ ડૂબી જાતા
છૂપીને રેશમી જુલ્ફોમાં જઈ પરબારા ઊતરે છે
પરંતુ એમની ટીકા નહીં કરજો કે સદીઓથી 
સફેદ આકાશ પરથી રાતના અંધારા ઊતરે છે
-મરીઝ 
           
ચૂડીઓ તૂટી ગુલામીની હણાયા ચોટલા,
હાથ લાગ્યા જ્યારથી સ્વરાજ કેરા રોટલા;
નિતનવા કાંઈ કાયદાથી ફાયદા એવા થયા,
આમ જનતાના જુઓ નીકળી ગયા છે ગોટલા.
- બેકાર  
       
પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એ લાભની તક શોધે છે
આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ
આંસુમાં ગરીબોના નમક શોધે છે
- મરીઝ 
      
ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ
- ઉમ્મર ખૈયામ( અનુવાદક-  “શૂન્ય” પાલનપુરી)   
        
ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું
બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું
- ઉમ્મર ખૈયામ( અનુવાદક-  “શૂન્ય” પાલનપુરી) 
    
પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી
ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી
મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો
બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી
- નાદાન    
       
તાંદુલી  તત્વ  હેમથી  ભારે  જ  થાય  છે,
કિન્તુ  મળે  જો લાગણી  ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હ્રદય! 
મૈત્રીનું  મૂલ્ય  કૃષ્ણને  દ્વારે  જ  થાય  છે.  
- મુસાફિર 
       
સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં
- જવાહર બક્ષી 
      
જંગલી થૈને ફરે છે ટેરવાં
સ્પર્શમાંથી નીકળેલું રક્ત છે
સાત પડ વિંધાઈ જાશે મહીં
લાગણીના હાથ કેવાં સખ્ત છે
- આર. એસ. દૂધરેજિયા 
      
ક્યાંક ક્ષણના કાફલા ફૂંકી જવાના હોય છે
ક્યાંક કાંધે ભાર એ વેંઢારવાના હોય છે
હો ભલે વેઢે તમારા દુ:ખના ટશિયા બધા
એક ફિક્કું સ્મિત દઈ, ભૂલી જવાના હોય છે
- સંજય પંડ્યા
    
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
- સૈફ પાલનપુરી
       
અમર મુક્તકો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભારસંપાદન: કૈલાસ પંડિત 
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની






એક શાયર છું જીવન-કર્મોથી ના અજ્ઞાન છું
વેદનો પણ છું ઉપાસક, કારીએ કુઅરાન છું
કિંતુ જો ઈમાનની પૂછો તો આસિમ સાંભળો
હું ન હિન્દુ છું, ન મુસ્લિમ છું, ફક્ત ઈન્સાન છું
- આસિમ રાંદેરી

હું શું કહું કે ક્યાં હું મથામણમાં જઈ ચડ્યો
પિંજરથી નીકળ્યો તો પળોજણમાં જઈ ચડ્યો
ઘાયલ નિરાંત કેવી આ હતભાગી જીવને
અકળાયો ખોળિયામાં તો ખાંપણમાં જઈ ચડ્યો
- અમૃત ઘાયલ

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું
ઉતારું છું પછી થોડુંઘણું એને મઠારું છું
તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદ
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
- અમૃત ઘાયલ

ચડી આવે કદી ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે   
નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે
કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે
અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે
- અમૃત ઘાયલ

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું
- અમૃત ઘાયલ

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે
-શૂન્ય પાલનપુરી

પ્રથમ તુજ દિવ્ય મોતીનું જરા દર્શન કરાવી દે
પછી હળવે રહીને મોજ ઊર્મિની વહાવી દે
છતાં ઊંડાણનું અભિમાન દર્શાવે યદિ સાગર
તો દિલના કોક ખૂણેથી જરા પરદો હટાવી દે
-શૂન્ય પાલનપુરી

Site Meter