20130602

હોરાઇઝન - ભવેન કચ્છી


ગુજરાતની અહોભાગ્ય ઘડીને ૯૮ વર્ષ થયાં

- કોચરબ આશ્રમ, ગાંધી આશ્રમ, નવજીવન, એમ. જે. લાઈબ્રેરી અને ગુજરાત વિદ્યાપીઠ માત્ર ગાંધીજીએ સ્થાપેલી ઈમારતો જ નથી ઃ વિશ્વની સૂક્ષ્મ તાકાત માટેના ઉર્જા કેન્દ્રો છે
- ૨૫ મે, ૧૮૯૫ ઃ સાઉથ આફ્રિકા છોડીને હિંદ સ્વરાજના ધ્યેય સાથે ભારત આવેલા ગાંધીજીના આઝાદીના સંગ્રામનું હેડક્વાર્ટર અમદાવાદ બન્યું


મહાત્મા ગાંધીજીને વિશેષ કરીને ગુજરાત અને અમદાવાદના નાગરિકોએ માત્ર તેમના જન્મ દિને કે પૂણ્યતિથિએ જ યાદ ન કરવા જોઈએ. ૨૫ મે, ૧૮૧૫ દરમ્યાન ગાંધીજી અને અમદાવાદને જોડતી એક અનોખી ઘટના બની હતી. ગઈકાલે ૨૫ મે હોઈ આ ઘટનાને ૯૮ વર્ષ પૂરા થયા. સાઉથ આફ્રિકા છોડીને ભારતને આઝાદ કરવાના ધ્યેય સાથે આવેલા ગાંધીજીને તેમની લડતનું હેડ ક્વાર્ટર કોલકાતા, મુંબઈ, પૂના જેવા શહેરમાં રાખવાની અપીલ તેમના નાગરિકો કરતા હતા પણ ગાંધીજીએ અમદાવાદ પર જ પસંદગી ઉતારી હતી. જીવણલાલ બેરિસ્ટરે પાલડી સ્થિત તેમનો બંગલો ગાંધીજીને રહેવા અને લડતના મંડાણ કરવા આપી દીધો. ગાંધીજી હોય એટલે ચુસ્ત નિયમો, પ્રાર્થના અને સંકલ્પ-શિસ્તનું મંદિર આપોઆપ બની જાય. ગાંધીજી અને તેના અનુયાયીઓની હાજરી થકી તે બંગલો બંગલો ના રહેતાં આશ્રમ તરીકે ઓળખાય તે સ્વાભાવિક હતું. પાલડીના કોચરબ વિસ્તારમાં હોઈ કોચરબ આશ્રમ અને મૂળ હેતુ હિંદના સ્વરાજનો હોઈ સત્યાગ્રહ આશ્રમ તરીકે જાણીતો બન્યો હતો. ધૂરંધર નેતાઓ, સંતો કોચરબ આશ્રમમાં આવીને રહ્યા હતા.
ગાંધીજીના નેજા હેઠળના આઝાદીના અહિંસક લડવૈયાઓનો દેશવ્યાપી જુસ્સો જે હદે જામતો જતો હતો તેના પગલે કોચરબ આશ્રમ વ્યાપ-વિસ્તારની રીતે મર્યાદિત જણાવા માંડયો.
૧૭ જૂન, ૧૯૧૭માં સાબરમતી આશ્રમમાં ગાંધીજી અને તેની લડતનું કેન્દ્ર કોચરબ સત્યાગ્રહ આશ્રમથી શિફ્ટ થયું.
ગાંધીજીએ સાબરમતી આશ્રમના ૩૬ એકર વિસ્તારની પસંદગી કરતાં કહ્યું હતું કે આ શ્રેષ્ઠ જગા હોઈ શકે કેમ કે તેની એક તરફ જેલ છે અને બીજી તરફ સ્મશાન. આઝાદીના સેનાનીઓ પાસે આ બે વિકલ્પ જ હોવા જોઈએ. સાબરમતી આશ્રમની જગા આ બંને કેન્દ્ર બિંદુઓની વચ્ચે છે. જો ગાંધીજીએ અમદાવાદની જગાએ ભારતના ગુજરાત બહારના કોઈ અન્ય શહેરમાં આશ્રમ સ્થાપ્યો હોત તો?
વાચક બિરાદરો, તમારી પ્રથમ પ્રતિક્રિયા કદાચ એવી હોઈ શકે કે તો ગુજરાત કે તેનાથી આગળ વધીએ તો અમદાવાદની આ હદે આંતરરાષ્ટ્રીય ઓળખ ઉભી ના થઈ હોત. વિદેશના મહાનુભાવો છેક ગાંધી આશ્રમ - અમદાવાદ સુધી ના આવતા હોત. ''સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ'' જેવું ગીત પણ ના બન્યું હોત. પણ જરા વિચારો, ગુજરાતની પ્રજામાં જે જગવિખ્યાત ગુણો છે, તેના મૂળમાં શું છે ? કેમ અન્ય રાજ્યોની પ્રજામાં આવી વિશિષ્ઠતા જોવા નથી મળતી ? વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસ્યા ત્યાં આગવી છાપ ઉભી કરી કેમ શક્યા ? કદાચ આ અંગે કોઈએ અગાઉ વિચાર્યું નથી કે તે ગાંધી અને સરદારનો આપણા જનમાનસ પરનો પ્રભાવ છે. આપણા બાપદાદાના તે બેઝિકસ હજુ પણ નવી પેઢીમાં જળવાઈ રહ્યો છે. પેઢી દર પેઢી ચાલ્યા આવતા આપણા ગુણો જુઓ. નિષ્ઠા, ખુમારી, મહાજન પરંપરા ધોતી, બંડી, ટોપી કલ્ચર, ખાણી-પીણીમાં ગુણવત્તાસભર જાગ્રતતા, વ્યસન પર સંયમ, ઉદ્યમીતા, અન્ય રાજ્યોની તુલનામાં થોડી વધુ પ્રામાણીકતા, ઈશ્વરનો ડર, અસ્પૃશ્યતા જાગૃતિ, ટ્રસ્ટીશીપ, સખાવતો, સહકાર અને  વખત આવ્યે સંગઠીત થઈને અવાજ ઉઠાવવો તે બધું ગાંધીજી અને સરદાર પટેલે આપણે ત્યાથી આઝાદીના સીમા ચિહ્ન કાર્યક્રમો કર્યા તેને આભારી છે. દેશભરમાં ગાંધીજીથી જીવન પદ્ધતિમાં પરિવર્તન આવતું હોય તો ગુજરાત તો સૌથી વધુ પ્રભાવિત થાય જ ને. અને હા, ગુજરાતમાં મદ્યપાન નિષેધ, માંસાહાર વિરોધી માનસિકતા, જીવદયાના ગુણો તો ખરાં જ.
ગુજરાતમાં ખાદી, પ્રાર્થના, વાંચન અને વિચારની એક સંસ્કૃતિ જાગી. ગાંધીજી જોડે સાબરમતી આશ્રમમાં જેઓ પણ જોડાયા તેઓ આગળ જતા પોતપોતાના ક્ષેત્રના રત્નો બન્યા. ગુજરાતના સંતો, સમાજ સેવકો, સિધ્ધ આધ્યાત્મીક હસ્તીઓ, નેતાઓ, અમલદારો, વ્યવસાયીઓના છેડા ગાંધીજી અને તેમના આશ્રમ સુધી આપણને લઈ જાય છે. આઝાદી બાદ કે ગુજરાત અલગ રાજ્ય બન્યું તે પછીના દાયકાઓ સુધી ગુજરાતનું જે સમાજ, માનવતા અને આધ્યાત્મિકના સ્તંભ પર ઘડતર થયું તે બધા ગાંધીવાદીઓ કે ગાંધી વિચારની ચિનગારી પામેલા હતા. આજે ભલે આપણે આધુનિકતા કે પશ્ચિમ દેશ પરીધાન ધારણ કર્યું હોય પણ આપણો સંસ્કાર વારસો આપણને અમુક હદથી નીચે તરફ જતા અટકાવે છે. તો તેના મૂળમાં ગાંધીજી અને સરદાર છે. તેમના અનુયાયીઓ કે અંતેવાસીઓ આપણા બાપ-દાદા, સંતો, શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ અને નેતાઓ હતા.
સાહિત્યમાં પણ જે સર્જન થયું તેમાં સત્વ, ખુમારી, ટેક, ગરીબો અને દલિતોના ઉધ્ધાર, શોષણ સામે અવાજ અને મૂલ્યો આધારીત રહ્યું કેમ કે સાહિત્યકારો, કેળવણીકારો અને સંતો ગાંધી વિચારધારાથી પ્રભાવિત બન્યા.
ગાંધીજી સાઉથ આફ્રિકાથી હિંદ સ્વરાજ આંદોલન માટે અમદાવાદમાં સ્થાયી થયા એટલે આપપણને કોચરબ અને ગાંધી આશ્રમ ઉપરાંત 'નવજીવન', ગુજરાત વિદ્યાપીઠ અને એમ.જે. લાઇબ્રેરી જેવી વિશ્વ પ્રસિદ્ધ સંસ્થાઓ પણ ભેટ મળી. આ ત્રણેય સંસ્થાઓને સ્થૂળ રીતે કોઇ યુનિવર્સિટી, મુદ્રણાલય કે લાઇબ્રેરી તરીકે જોવી ના જોઈએ. ટેકનોલોજીના અતિરેક, તનાવ, વણસતા વૈશ્વિક સંબંધો, પરમાણુ યુદ્ધ, આતંકવાદથી માંડી પર્યાવરણ જેવી સમસ્યાઓમાંથી વિશ્વને બહાર આવવું હશે તો તે માટેના વિચારો, પ્રકાશનો, ગાંધી સાહિત્યની સરવાણી આવી સંસ્થાઓમાંથી જ વહેતી થતી હશે.
આ સંસ્થાઓમાં આજે પણ પુસ્તકો, વિદ્યા પદ્ધતિ, માનવ મેનેજમેન્ટ અને આબોહવા બધું જ 'ગાંધીઅન' છે.
એવી પૂરી શકયતા છે કે ગાંધીજીએ કોલકાતા, મુંબઇ કે પૂનામાં જ આશ્રમ સ્થાપીને આઝાદી સંગ્રામનો મોરચો માંડયો હોત તો તેમની ઇચ્છા હોત તો પણ આવી સંસ્થાઓની અમદાવાદમાં સ્થાપના કરવાનો તેમજ તેને કાર્યરત રાખવા માટેનો વિચાર કે સમય ના  ફાળવી શક્યા હોત.
હમણા થોડા દિવસો પહેલા અમદાવાદમાં પુસ્તક મેળામાં 'પુસ્તક પરબ'નો ઉમદા ખ્યાલ પણ અમલમાં મુકાયો હતો. આપણા ઘરમાં વંચાઇ ચૂકેલા અને હવે જરૃર નથી તેવા પુસ્તકો આ પરબના કાઉન્ટરમાં આપી દેવાના. આવા પુસ્તકોનું જેમને જરૃર હોય તેમને મફતમાં વિતરણ કરી દેવાનું. આવી પરબમાં સાતેક હજાર પુસ્તકો એકઠાં થઇ શક્યા હતાં.
હવે જરા ગાંધીજીના પુસ્તક દાનની વાત જાણો. ગાંધીજીએ એમ જે લાયબ્રેરીનું ખાતમુહુર્ત કર્યું તે સાથે ૧૦,૦૦૦ પુસ્તકો અને 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના વખતે પણ તેટલા જ પુસ્તકો ભેટમાં આપ્યા હતા.ગાંધીજી સાઉથ આફ્રિકામાં હજારો પુસ્તકની લાઇબ્રેરી ધરાવતા હતા. તે તમામ પુસ્તકો તેમણે અમદાવાદમાં શિફટ કરાવ્યા હતા.
તમે વિચારો આ કેટલા મોટા ગજાનું સ્થૂળ અને સૂક્ષ્મ દાન કહેવાય !!
એમ જે લાઇબ્રેરીનો વિચાર વાંચન યાત્રા થકી નાગરિકોનું ઘડતર કરવાનો હતો. 'નવજીવન' વૈચારિક પ્રકાશન પ્રસાર ખ્યાલ સાથે સ્થાપવામાં આવ્યું હતું. જયારે ગાંધીજીને લાગ્યું કે બ્રિટિશરોના રાજને લીધે બ્રિટિશ પાશ્ચાત્ય સંસ્કૃતિ, અંગ્રેજી ભાષા અને તેમના જ અભ્યાસક્રમો છવાઇ જશે. આપણી માતૃભાષા, રાષ્ટ્રભાષા, સંસ્કાર અને શિક્ષણ મૂલ્યોને જાળવતા જ વિદ્યાર્થીઓ સ્નાતક બને. તેવા પ્રોજેકટ જારી રહે અને જીવન પદ્ધતિમાં ગાંધી વિચારધારા કેન્દ્ર સ્થાને રહે તે માટે તેઓએ ગુજરાત વિદ્યાપીઠને જન્મ આપ્યો.
ભલે કદાચ ભારતના અન્ય રાજયોની પ્રજાને મન ગાંધીજી સાઉથ આફ્રિકા છોડીને હિંદ સ્વરાજ માટે અમદાવાદમાં (ભારતમાં) સ્થાયી થયા તે દિનનું મહત્ત્વ ના હોય. પણ આપણે આ મે મહિનામાં ૨૫મી તારીખને કે આ અઠવાડિયાને વિશેષ ભાગ્યશાળી સમયચક્ર તરીકે જોવું જોઈએ.
આપણે બધા સાબરમતી આશ્રમની મુલાકાત તો લીધી જ હશે પણ ખબર નહીં કેમ કે જયાં ગાંધીજીએ સૌ પ્રથમ સ્વદેશાગમન પછી મુકાય કર્યો તે કોચરબ આશ્રમ નજર અંદાજ કરતા રહ્યા છીએ. એકાદ વખત વેકેશનમાં સંતાનો સાથે જઇ શકાય. ભલે સાબરમતી આશ્રમ જેટલી વિશાળ જગા નથી પણ જયાં ગાંધીજીએ પ્રથમ પડાવ નાંખ્યો હતો તે ભૂમિના આંદોલનો તો આજે પણ અકબંધ છે.
... અને છેલ્લે ડૉ. રીઝવાન કાદરીએ તેમના સંશોધીત બે પુસ્તકો 'ગાંધી-ટિળક. નોખા-અનોખા' અને ગાંધી સરદાર એકની ટેક બીજાની ભેખ' વિમોચન કોચરબ આશ્રમમાં જ યોજયો હતો. તેમની એક જ ઇચ્છા હતી કે ગાંધીજીએ  આવીને સૌ પ્રથમ જયાં આઝાદીની લડતની પાંખો પ્રસરાવી તેને ૯૮ વર્ષ ૨૫ મે ના રોજ પૂરા થયા. તે નિમિત્તે એક વખત તો બધા કોચરબ આશ્રમની મુલાકાત લે. મણીનગર સ્વામીનારાયણ ગાંધી સંસ્થાને આ સમગ્ર સંશોધન, પ્રકાશન અને કાર્યક્રમનો પ્રોજેકટ 'રાષ્ટ્ર-પર્વ' તરીકે તેમના શિરે લીધો હતો.
***
દીવાદાંડી સમાન ગાંધીજી

ગાંધીજી માટે એવું કહી શકાય કે તેમને ગાંધીજી બનાવવામાં તેઓ ગુજરાતી હતા તે પણ ઉલ્લેખનીય બાબત હતી કેમકે ગુજરાતીઓમાં ગાંધીજીના જન્મ પૂર્વેથી જ  લેખમાં બતાવાય છે તેવા વિશિષ્ઠ ગુણો હતા જ પણ ગાંધીજીએ તેમને સાંગોપાંગ તેમના જીવનમાં ઉતાર્યા અને આગળ જતાં તેમની આગવી જીવન દ્દષ્ટિ પણ ઉમેરતાં તેઓ સમકાલીન અને એ પછીની પેઢી માટે દીવાદાંડી અને પ્રભાવી પ્રેરણાત્મક વિશ્વ પ્રતિભા બન્યા.

-Gujarat Samachar